અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે શુક્રવારે ગીર સોમનાથ, તાપી, અમરેલી, નવસારી, ભાવનગર, ડાંગ, સુરત અને વલસાડમાં વરસાદ પડી શકે છે. તેમજ વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત, ભરૂચ અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોની મૂંઝવણ વધી છે. આજે એટલે કે 11મી ઓક્ટોબરે નવરાત્રિના છેલ્લા દિવસે પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડે તેવી આગાહી છે.
સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં વરસાદ વિલન બનીને ત્રાટક્યો છે. ઓપન પાર્ટી પ્લોટ માં યોજાયેલા ગરબાઓ આજે રમી શકાય તેવી સ્થિતિમાં રહ્યા નથી એટલું જ નહીં પરંતુ, જેમણે મોટું આયોજન કર્યું છે. ખાસ કરીને જી નાઇન ગરબા ઇવેન્ટમાં દોમ સુધી પહોંચવા માટે જે મુશ્કેલી થઈ રહી છે તે આજે ખેલૈયાએ વધુ સહન કરવી પડશે કારણ કે, ઓપન પ્લોટમાં આયોજન કર્યું હોવાથી કાદવનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે