ઓમર અબ્દુલ્લા 11 ઓક્ટોબરે LG મનોજ સિંહાને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેઓ 10 ઓક્ટોબરે NC ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા.
નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા આજે બીજી વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ CM બનશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોજાશે. શપથ લીધા બાદ ઓમર અબ્દુલ્લા એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી સાથે બેઠક કરશે.
તેમની સાથે ચાર મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને સરકારને સમર્થન આપતા અપક્ષ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે નહીં. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 હેઠળ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભા બેઠકોના 10% થી વધુ ન હોઈ શકે. શપથ ગ્રહણ સમારોહમાં I.N.D.I.A. બ્લોકના ઘણા મોટા નેતાઓ હાજરી આપી શકે છે. આ માટે NCએ સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ અને અરવિંદ કેજરીવાલ સહિત લગભગ 50 VIPsને આમંત્રણ આપ્યું છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ગઈકાલે જ શ્રીનગર પહોંચી ગયા છે.