દેશભરમાં સતત એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં વધારો થયો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરના એરપોર્ટમાં આવતી ફ્લાઇટમાં સ્કાઇ માર્શલની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ અને વિમાનમાં વધતા ખતરાનું આકલન અને જાસુસી એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ સ્કાઇ માર્શલની સંખ્યા ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ દિવસમાં અત્યાર સુધી કૂલ 14 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેનાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.જોકે, તપાસમાં આ તમામ ધમકી ખોટી સાબિત થઇ છે. સરકાર હવે આ ઘટનાને લઇને એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગૃહમંત્રાલયે ફેક બોમ્બ ધમકીઓ પર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સાથે ચર્ચા કરી છે. મળતી માહિતી અનુસાર BCASની સાથે MoCAની ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો કે એજન્સીઓ સાથે મળીને ધમકી આપનારાની ઓળખ કરી તેમને નો-ફ્લાય ઝોનમાં સામેલ કરવામાં આવશે.
બોમ્બની ધમકી આપનાર સગીરની ધરપકડ
વિમાનમાં બોમ્બની ધમકી આપનાર મુંબઇના એક સગીરની પોલીસે ધરપકડ કરી છે. સગીર પોતાના મિત્રના નામથી સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવીને વિમાનમાં બોમ્બની અફવા ફેલાવતો હતો. કહેવામાં આવે છે કે સગીર પોતાના મિત્રને ફસાવવા માંગતો હતો માટે તેને આવું પગલું ભર્યું હતું. સગીરે 4 વિમાનમાં બોમ્બની અફવા ફેલાવી હતી.