ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના અંતિમ કાર્ય દિવસ પર સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન CJIએ પોતાના પરિવાર, માતા-પિતા, અંગત જીવનની સાથે કરિયરથી જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી અને પોતાના અનુભવ પણ સંભળાવ્યા. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, ‘અમે જજ તરીકે જટિલ વિષયો પર ચુકાદા આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર કરે છે.’
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય.
તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બર, 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. બે વર્ષના કાર્યકાળના અંત પછી આજે સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. બે વર્ષના કાર્યકાળ દરમિયામ તેમણે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને ચૂંટણી બોન્ડ કેસમાં સરકારને પડકારવા સહિત ઘણા ઐતિહાસિક ચુકાદા આપ્યા હતા.