જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના કેશવાન અને તેની આસપાસના વિસ્તારોના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.રવિવારે અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર ચાર કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો.
જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમાર સારવાર દરમિયાન શહીદ થયા હતા.સેનાના જણાવ્યા અનુસાર કેશવાન ફોરેસ્ટમાં છુપાયેલા આતંકીઓ કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના છે. આ લોકોએ જ 7મી નવેમ્બરે 2 વિલેજ ગાર્ડની હત્યા કરી હતી.
છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. નવેમ્બરના 10 દિવસમાં સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. સોપોરમાં 8 નવેમ્બરે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.