અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી 4 વર્ષમાં 3500 જેટલા ઓપરેશનો કરી કરોડો રૂપિયા ચાંઉ કરી લેતા વસ્ત્રાપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 3500માંથી મોટા ભાગની સર્જરી ખોટી રીતે થઈ હોવાની શક્યતાના આધારે સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ખ્યાતિકાંડમાં એક પછી એક વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 4 વર્ષમાં 3500 જેટલા ઓપરેશન કરીને ખોટી રીતે 25 કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી. ગઈકાલે પી.આઈ. એલ.એલ.ચાવડાએ આરોપી ડૉ. પ્રશાંત વજીરાનીના આનંદનગરમાં આવેલા ક્લિનિકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા તેમજ અન્ય કઈ હોસ્પિટલો સાથે સાંઠગાંઠ ધરાવે છે તેની વિગતો મેળવી હતી.
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા તેમજ દર્દીઓના મોત થતા આ કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડૉ. પ્રશાંત વજીરાનીને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપુતે ડૉ. વજીરાની અને અન્ય તબીબો સાથે મળીને મેડિકલના ખોટા રિપોર્ટના આધારે અનેક ઓપરેશન કર્યા હોવાનું ખુલ્યું હતું.