પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં INDIA ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મેં ‘INDIA’ ગઠબંધન બનાવ્યું હતું. હવે તેને વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી નેતૃત્વ કરતા લોકો પર નિર્ભર છે. જો તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તો શું કરી શકીએ? હું એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે.
મમતાએ કહ્યું- જો મને તક મળશે તો હું ચોક્કસપણે આ ગઠબંધનનું નેતૃત્વ કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હું અહીંથી ગઠબંધન ચલાવીશ. હું અહીં મુખ્યમંત્રી રહીને બંને જવાબદારીઓ નિભાવી શકું છું.
મમતાને પાર્ટીમાં તેમના ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેમણે કહ્યું- TMC એક અનુશાસિત પાર્ટી છે. અહીં કોઈ નેતા પોતાની શરતો નક્કી કરી શકતા નથી. પક્ષ નક્કી કરશે કે લોકો માટે શું સારું છે. અમારી પાસે ધારાસભ્યો, સાંસદો, બૂથ કાર્યકર્તાઓ છે, જે નક્કી કરશે કે મારા પછી પાર્ટી કોણ સંભાળશે. TMCમાં મમતા બેનર્જીની નજીકના નેતાઓ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની નજીકના નેતાઓ વચ્ચે મતભેદની સ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી છે. આ અંગે મમતાએ કહ્યું- પાર્ટી માટે દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ છે. આજનો નવો ચહેરો આવતીકાલનો અનુભવી હશે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેવાના સવાલ પર મમતાએ કહ્યું- કેટલાક રણનીતિકારો ઘરે બેસીને સર્વે કરે છે અને બાદમાં સર્વે બદલી નાખે છે. તેઓ બોબતોનું પ્લાનિંગ કરે છે, વ્યવસ્થિત કરી શકે છે, પરંતુ મતદારોને બૂથ સુધી લાવી શકતા નથી. માત્ર બૂથ કાર્યકરો જ ગામડાઓ અને લોકોને જાણે છે, આ જ લોકો ચૂંટણી જીતે છે. ચૂંટણી રણનીતિકારો માત્ર કલાકારો છે, જેઓ પૈસાના બદલામાં તેમનું કામ કરે છે, પરંતુ તેમના દ્વારા ચૂંટણી જીતી શકાતી નથી.