કર્ણાટકમાં લિંગાયત પંચમસાલી સમુદાયના આરક્ષણની માગને લઈને વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. મંગળવારે બેંગલુરુમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, વિરોધીઓએ સુરક્ષા કોર્ડન તોડીને વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોનો પીછો કર્યો હતો. લાઠીચાર્જમાં ઘણા દેખાવકારો ઘાયલ થયા હતા. પોલીસે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભાજપના અનેક ધારાસભ્યો અને બસવજય મૃત્યુંજય સ્વામીની અટકાયત કરી હતી. ઘટનાસ્થળે રસ્તા પર જૂતાં અને ચપ્પલ વેરવિખેર જોવા મળ્યા હતા. ઘણા વિરોધીઓના માથામાંથી લોહી નીકળતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.
રાજ્યની કોંગ્રેસ સરકાર અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને જેડીએસ વચ્ચે આને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિપક્ષી દળોએ કોંગ્રેસ પર સંતોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો, જેના પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે પ્રદર્શનના વિરોધમાં નથી. મેં પ્રતિનિધિઓને ચર્ચા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે શાંતિ થવું જોઈએ.”
પંચમસાલી લિંગાયત સમુદાય હાલમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 5% અનામત ભોગવે છે. હવે તેઓ તેને વધારીને 15% કરવાની માગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સમુદાયના નેતાઓને મળ્યા અને તેમને પછાત વર્ગ આયોગના અહેવાલની રાહ જોવા કહ્યું અને ખાતરી આપી કે તેઓ રિપોર્ટના આધારે યોગ્ય નિર્ણય લેશે.