ભાજપ નેતા નવ્યા હરિદાસે વાયનાડ બેઠક પરના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેરાલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પ્રિયંકાની ચૂંટણીમાં થયેલી જીતને કોર્ટમાં પડકારી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધીનો વિજય થયો હતો અને તેમણે ઉત્તર પ્રદેશની રાયબરેલીની બેઠક પરથી પણ જીત નોંધાવી હતી. જોકે રાહુલે વાયનાડ બેઠક ખાલી કરી દીધી હતી. ત્યારબાદ વાયનાડમાં પેટાચૂંટણી યોજાતા 13મી નવેમ્બરે પ્રિયંકા ગાંધીનો પાંચ લાખથી વધુ મતે વિજય થયો હતો.
નવ્યા હરિદાસે દાવો કર્યો છે કે, ‘પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવીટમાં ખોટી માહિતી આપી છે. તેમણે પરિવારની સંપત્તિનો યોગ્ય ખુલાસો કર્યો નથી. આમ તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અનેક મહત્ત્વની વિગતો છુપાવી છે. ’ તેમણે એમ પણ કહ્યું કે, ‘મેં અગાઉ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી હતી, જોકે તેની હજુ સુનાવણી થઈ શકી નથી.’
તેમના વકીલ હરિકુમાર જી. નાયરે કહ્યું કે, પ્રિયંકાએ અનેક મહત્ત્વની સંપત્તિઓ દબાવી હોવાનો તેમજ ગેરમાર્ગો દોર્યા હોવાનો હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે. નવ્યાએ પ્રિયંકાની ચૂંટણી જીતને રદ કરાવવાની માંગ કરી છે. તેમણે ખોટી માહિતી આપીને મતદારોને અંધારામાં રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે, તેથી આ કેસની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરીમાં થઈ શકે છે.
box…..
અમને વિશ્વાસ છે કે, કોર્ટ અરજી રદ કરશે : કોંગ્રેસ
ભાજપ નેતાએ પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ નવ્યા હરિદાસ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે, કોર્ટ અરજી રદ કરશે અને નવ્યાને દંડ ફટકરાશે.’ કોંગ્રેસ નેતા મનિકમ ટૈગોરે કહ્યું કે, ‘ભાજપ પાસે ફરિયાદ ફાઈનલ કરવાનો અધિકાર છે, પણ આક્ષેપોમાં કોઈપણ સત્ય નથી. તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધીને અને વાયનાડમાં પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે. અમે જાણીએ છીકે, સત્ય અમારા પક્ષમાં છે.’