જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીઅને ભાજપ વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર તેમની પાર્ટી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખી સામેલ નહીં કરવાનું કારણ રાજકીય બદલો લેવાનું છે.
કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, તેથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેની ઝાંખીને સામેલ કરવી જોઈએ. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપને પૂછ્યું હતું કે , “હું તેમને પૂછવા માંગુ છું – આ વર્ષે ફરી એકવાર દિલ્હીની ઝાંખી શા માટે સામેલ કરવામાં આવી રહી નથી? શા માટે દિલ્હીના લોકોને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે?” દિલ્હીની ઝાંખી ઘણા વર્ષોથી ગાયબ હોવાનો દાવો કરતા કેજરીવાલે કહ્યું હતું કે, “આ કેવું રાજકારણ છે? દિલ્હી અને તેના લોકો પ્રત્યે આટલી નફરત શા માટે છે? જો આ નેતાઓ આટલી દુશ્મનાવટ ધરાવે છે, તો દિલ્હીના લોકો શા માટે મત આપે છે તેને (ભાજપને) ?” દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખીને જાણીજોઈને બાકાત રાખવાનો આરોપ લગાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલય (MoD)એ સ્પષ્ટતા જારી કરી છે અને ઝાંખીની પસંદગી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક ગણાવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઈરાદાપૂર્વક દિલ્હીની ઝાંખીને પરેડમાં સામેલ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર MoDએ કહ્યું હતું કે ઝાંખી પસંદગી પ્રક્રિયા રોસ્ટર સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે, જેમાં દર ત્રણ વર્ષે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે.





