ઇઝરાયેલે સ્વીકાર્યું છે કે તેને જ ઇરાનમાં હમાસના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી હતી. આ સાથે જ તેમને યમનમાં હૂથી વિદ્રોહીઓને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે કહ્યું કે અમે હૂથીઓ પર પ્રહાર કરીશું અને તેમના નેતૃત્ત્વને નષ્ટ કરી નાખીશું- જેવું અમે તહેરાન, ગાઝા અને લેબેનોનમાં હનિયા, (યાહ્યા) સિનવાર અને હસન નસરલ્લાહ સાથે કર્યું હતું, અમે હોદેદા અને સનામાં પણ આવું જ કરીશું.ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે પોતાના નિવેદનમાં કહ્યું કે, જે કોઇ પણ ઇઝરાયેલ વિરૂદ્ધ હાથ ઉઠાવશે તેના હાથ કાપી નાખવામાં આવશે.
31 જુલાઇએ હાનિયાની હત્યાના લગભગ 5 મહિના બાદ ઇઝરાયેલે હાનિયાની મોતની જવાબદારી લીધી છે.આ પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ક્યારેય પણ પૂર્વ હમાસ પ્રમુખની હત્યાની વાત સ્વીકારી નહતી પરંતુ હમાસ અને ઇરાન ઇઝરાયેલને સતત દોષી ઠેરવી રહ્યું હતું. 31 જુલાઇએ તહેરાનના એક ગેસ્ટહાઉસમાં વિસ્ફોટમાં હાનિયાનું મોત થયું હતું. કથિત રીતે ઇઝરાયેલે ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના ઉદ્દઘાટનમાં સામેલ થવા માટે હાનિયાના આગમનના કેટલાક અઠવાડિયા પહેલા વિસ્ફોટક મુક્યા હતા. ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે દાવો કર્યો હતો કે હાનિયાને તેના ઘરની બહારથી લોન્ચ કરવામાં આવેલા નાના અંતરના પ્રોજેક્ટાઇલનો ઉપયોગ કરીને મારી નાખવામાં આવ્યો હતો. તહેરાને અમેરિકા પર ઇઝરાયેલના ઓપરેશનનું સમર્થન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. હાનિયાની હત્યાથી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઇ હતી જેનાથી તહેરાન અને તેના સહયોગીઓ, હમાસ અને હિજબુલ્લાહની ધમકીઓ બાદ અમેરિકાએ જેટ અને નૌસેનાના સબમરીન તૈનાત કરવા પડ્યા હતા.