મધ્યપ્રદેશમાં 25મી ડિસેમ્બરે નાતાલના તહેવાર પહેલા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે, શાળાઓએ ખ્રિસ્તી તહેવારો પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવતા પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. ચાઈલ્ડ કમિશને કહ્યું કે,કોઈ અપ્રિય પરિસ્થિતિથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ક્રિસમસના અવસર પર વિદ્યાર્થીઓ શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે. પરંતુ મધ્યપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા શિક્ષણ વિભાગ અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને નિર્દેશ આપ્યો છે કે, કોઈપણ શાળાએ નાતાલના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝના પોશાકમાં પહેરવા માટે તેમના માતા-પિતાની લેખિતમાં પરવાનગી લેવાની રહેશે.