પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બરમાલ જિલ્લામાં હવાઈ હુમલા કર્યા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
અહેવાલ મુજબ, 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હુમલામાં લમન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે બોમ્બ ધડાકા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો દર્શાવે છે કે બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બરમાલ પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મંત્રાલયે કહ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે, અને હુમલાની નિંદા કરી, દાવો કર્યો કે “વઝીરિસ્તાની શરણાર્થીઓ”ને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે સ્ટ્રાઈક સરહદ નજીક તાલિબાન સ્થાનોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે. પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે,
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લાહ ખ્વારેઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને એક્સ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં “નાગરિકો, મોટાભાગે વઝિરિસ્તાની શરણાર્થીઓ” માર્યા ગયા હતા. ખ્વારેઝમીએ જણાવ્યું હતું કે હુમલામાં “ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા”, જોકે જાનહાનિની સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, અને શોધ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.