કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કેનેડિયન મીડિયાને ટાંકીને આ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિન ટ્રુડોએ ટૂંક સમયમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જસ્ટિન ટ્રુડો સતત વિરોધનો સામનો કરી રહ્યા છે. ટ્રુડોના પોતાના પક્ષમાં પણ તેમના રાજીનામાની માંગણીઓ ઉઠી રહી છે. આવી સ્થિતિમાં ખુદ જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલા રાજીનામું આપવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં ફેડરલ ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરની વચ્ચે કોઈપણ સમયે યોજાઈ શકે છે.
ગ્લોબ એન્ડ મેલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રુડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સૂત્રએ પબ્લિકેશનને જણાવ્યું હતું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે લિબરલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી તેમના પોતાના સાંસદો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા હોય તેવું ન લાગે.’ તાજેતરમાં, તે સ્પષ્ટ નથી કે ટ્રુડોનું સ્થાન કોણ લેશે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.
ગયા અઠવાડિયે જ કેટલાક સ્થાનિક મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો કે જસ્ટિન ટ્રુડોની ટીમ લિબરલ પ્રીમિયર તરીકે દૂર કરવામાં આવે તો પણ તેઓ કેવી રીતે વડાપ્રધાન રહી શકે તેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. પાર્ટીએ રાષ્ટ્રીય કોકસની ભલામણ પર વચગાળાના નેતાની નિમણૂક કરવી પડશે અથવા મત યોજવો પડશે, ત્યારબાદ લિબરલ પાર્ટીને નવો ચીફ મળશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના પર દબાણ ઘણું વધી ગયું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતા હતા. ઇલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ભારત વિરોધી વલણ અપનાવનાર ટ્રુડો પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો દ્વારા રાજીનામું આપવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવ્યું હતું. 16 ડિસેમ્બરના રોજ તેમના નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતાં આ દબાણ વધુ વધ્યું અને કહ્યું કે તેમની અને વડા પ્રધાન વચ્ચે નીતિગત મુદ્દાઓ પર મતભેદો છે.
ભારત સાથેના લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.
ભારત અને કેનેડાના સંબંધોમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરમાં, જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યા હતા.