સુરત શહેરમાં ભારતની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત બની રહી છે, જેની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે. G+27 માળના બે ટ્વિન ટાવર્સ સાથે આ પ્રોજેક્ટ 35% પૂર્ણતાની કસોટી પાર કરી ચૂક્યો છે, જેમાં છ માળ લગભગ તૈયાર થઈ ગયા છે.
આ પ્રોજેક્ટ ગુજરાત માટે ખાસ છે, કારણ કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન મુજબ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા વિચાર અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ સાથે આ ઇમારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)ના ધોરણો પર આધારિત છે, જેમાં પાણી અને ઊર્જાની બચત, સોલર પેનલ્સનો ઉપયોગ, અને ઇકો ફ્રેન્ડલી પ્રણાલીઓ જોડવામાં આવી છે. જૂની સબજેલની જગ્યા પર બની રહેલ આ ઇમારતો નિર્માણાધિન મેટ્રો રેલવે જંકશનની નજીક છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ સાથે મહાનગરપાલિકાની ઓફિસો એકજ સ્થળે કાર્યરત થશે. નાગરિકોને વહીવટ માટે સરળતા અને ગતિ મળશે. મેટ્રો ટ્રાન્સપોર્ટ દ્વારા નાગરિકો અને કર્મચારીઓને આકર્ષક પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઇમારત 107.6 મીટર ઊંચી બનીને માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશમાં એક આઈકોનિક સિદ્ધિ તરીકે ચમકે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગુજરાતની શહેરીય વિકાસ ક્ષમતા અને વહીવટી કાર્યક્ષમતા માટે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.સુરત મહાનગરપાલિકા દક્ષિણ ગુજરાત અને દેશ માટે નવી ઓળખ ઊભી કરી રહી છે. દેશની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારતના આ પ્રોજેક્ટમાં 107.6 મીટર ઊંચી, G+27 માળની બે ટ્વિન ટાવર ઈમારતોનો સમાવેશ થાય છે.