ગુજરાતમાં જાન્યુઆરી માસમાં ધરા ધ્રુજે એટલે કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ જતી હોય છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વહેલી સવારમાં એક પછી એક બે હળવા આંચકાંથી લોકો ઘર બહાર આવી ગયા હતા. પાલઘર જિલ્લાના બોરડી દાંપચેરી તલાસરીમાં ભૂકંપનાં આંચકા લાગ્યાં હતાં. લગભગ સાડા ચાર વાગ્યાના આસપાસ 3.7 રિક્ટર સ્કેલ પર બે આંચકા આવ્યાનું જાણવા મળ્યું છે. જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો છે.
નોંધનિય છે કે, ગયા ચાર પાંચ વર્ષોથી પાલઘર જિલ્લાના તલાસરી વિસ્તારમાં જમીન નીચે કોઈ મોટો ફેરફાર થતો હોય તેવી આશંકા છે. કારણ દર વર્ષે આ વિસ્તારોમા આવતા ભૂકંપનાં આંચકાંથી લોકોમાં ડર જોવા મળ્યો છે. જેથી કોઈ મોટો ભૂકંપ આવે તો શું થાય તેથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.