અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતાં હતાં. જોકે, તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતી કાલે (11 જાન્યુઆરી) અમરેલી બંધ રાખવાની અપીલ કરી હતી. ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. સાથે જ વેકરીયાના નાર્કોટેસ્ટની માગ કરી હતી અને શનિવારે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.
પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી. અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,નાયબ દંડક કૌશિક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતી કાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતી કાલે અડધો દિવસ ધંધા રોજગારબંધ રાખવા વેપારીઓને મારી અપીલ છે. ધરણા વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.
તપાસ કરતી એસ.આઈ.ટી.ટીમ પર કોંગ્રેસને વિશ્વાસ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતો. ગઈકાલે સૌરાષ્ટ્રભરના કોંગ્રેસ નેતાઓ પ્રતાપ દુધાત, જેની ઠુમર, લલિત વસોયા, લલિત કગથરા,સહિત કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે સાંજ સુધી ધરણા છાવણીની મુલાકાતે કોંગ્રેસના કાર્યકરો સહિત લોકોની અવરજવર જોવા મળી હતી.