ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ દેશ દેશાવરમાં ભાવિક ભકતોના હર્દય સિંહાસન પર બિરાજમાન રાષ્ટ્રીય સંત પુ. બજરંગદાસ બાપાના 48માં મહા પરીનિર્વાણ દિવસે આજે સમગ્ર ગોહિલવાડમાં ગુરુ પૂજન સાથે વંદના કરી ઉજવણી કરાઇ હતી. ગુરુ આશ્રમ ખાતે પૂર્વ ધારણા મુજબ ભાવિક ભક્તોનો સાગર છલકાયો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. વ્હેલી સવારથી જ ભકતો બાપાને નત મસ્તક થવા મોટી સંખ્યામાં ગુરુ આશ્રમમાં ઉમટી પડ્યા હતા. અબાલ, વૃદ્ધ સહિત સૌ કોઈએ આજના દિવસે બાપાને ચરણે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા પૂ. બજરંગદાસબાપુની પુણ્યતિથિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. ભાવનગર શહેર- જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે બજરંગદાસ બાપની 48મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ ધાર્મિક, સેવાકીય કાર્યો થયા હતા. મઢુલીઓ શણગારી સવારે પૂજા, આરતી બાદ ઠેર ઠેર જગ્યાએ પ્રસાદ વિતરણ કરાયું હતું.
બગદાણા ગુરૂ આશ્રમ પરિસરને ભવ્ય રોશનીથી શણગાર કરાયો હતો,આજે સવારે બાપાની આરતી, ધ્વજપૂજન, ગુરુ પૂજન બાદ પરંપરાગત નગરયાત્રા યોજાઈ હતી જેને સેંકડો ભાવિકો અને ગ્રામજનોએ પુષ્પ વર્ષા સાથે હ્ર્દયના ભાવથી વધાવી હતી અને બાપા સીતારામનો જય ધોષ ગુંજયો હતો.
આ પ્રસંગે સ્વયં શિસ્ત સ્વયં સેવકોએ સુંદર રીતે સેવા બજાવેલ. જુદા જુદા વિભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ રાત સેવા કરી સ્વયં સેવકોએ પ્રસંગને દીપાવ્યો હતો. ટ્રસ્ટ મંડળના નેતૃત્વ અને માર્ગદર્શન તળે વિવિધ ગામના સેવક મંડળો કાર્યરત રહ્યા હતા. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પણ પૂણ્યતિથિ મહોત્સવ સંદર્ભે સહયોગ પૂરો પડાયો હતો.