ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતા ફરતા મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 65 દિવસ બાદ 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતાં. આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તો આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા, પરંતુ જામીન મંજૂર ન થયા નહોંતા. આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો, હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે.