તાજેતરમાં શહેરના પથીકાશ્રમ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા દાઉદી વ્હોરા સમાજના યુવા વેપારી મુસ્તફાભાઈ કાસીમભાઈ કાચવાલાની જાહેરમાં તીક્ષણ હથીયારો વડે નિર્મમ હત્યા કરવામા આવેલ. જેના આરોપીઓને ઉદાહરણ રૂપી સજા કરી પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે દાઉદી વ્હોરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના ઇતિહાસમા દાઉદી વ્હોરા સમાજના વ્યક્તિની હત્યા થયાનો સંભવિત આ પ્રથમ બનાવ છે. કારણકે દાઉદી વ્હોરા સમાજ હંમેશા કાયદાને માન આપનાર રહ્યો હોય. ગુનાખોરીમા કે સામાજિક ઝગડાઓમાં ક્યારેય શામેલ રહ્યો નથી. હત્યાના આરોપીઓને પોલીસે પકડી લીધા છે. જેમાં એક આરોપી ભૂતકાળમાં પણ હત્યા જેવો ગુનો આયરેલ હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળેલ છે. પ્રથમ ગુનાથી બોધપાઠ ન લેતા આ આરોપી દ્વારા ફરી જાહેરમાં એક વેપારી યુવાનની હત્યા કરવામાં આવી છે. ત્યારે તમામ આરોપીઓ ફરી જમાનત ઉપર બહાર આવી અન્ય વેપારી તેમજ નિર્દોષ લોકો ઉપર આ પ્રકારે હિંસા ન આચરે તેમજ સમાજમાં અપરાધીઓનો ભય ઘટે તેમજ કાયદા અને વ્યવસસ્થા ઉપર લોકોનો વિશ્વાસ કાયમ રહે તે માટે આરોપીઓ વિરુદ્ધ કઠોર કાયદાકીય પગલાઓ ભરી વધુમાં વધુ સજા મળે અને નિર્દોષ યુવાનના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટેની યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત અંગત પરિજન – મિત્ર દ્વારા મૃતક વ્યક્તિના પક્ષે જે લે લોકો સાહેદ અથવા પંચ તરીકે પોલીસને નિવેદન આપ્યા છે એવા સાક્ષીઓને કોઈપણ પ્રકારે ધમકાવામાં ન આવે તેમજ તેમના જીવને જોખમ ઉભુ ન થાય એવી કાર્યવાહી કરવા પણ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.