અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે, 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે.
પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરાશે. અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આર.ડી.ઓઝાએ જણાવ્યું હતું કે, અમૃતસરથઈ ફ્લાઈટમાં 33 લોકો આવ્યા હતા તેઓને પોતાના ઘરે મોકલી દીધા છે. જે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી તેમની સાથે રવાના કરવામાં આવ્યા છે. અત્યારે કોઈ ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું નથી.
અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા 33 ભારતીયોને આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તે પહેલા અમદાવાદ પોલીસ દ્વારા તેમને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડવા અને તે પહેલા સ્થાનિક એલસીબી માં તેમના નિવેદન નોંધાવવા માટેની આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર જ્યારે ઈન્ડિગોનીની ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે તેમને ડોમેસ્ટિક લોન્જની પાસે બધાને રોકવામાં આવ્યા હતા અને ત્યાંથી આઇબીના કેટલાક કર્મચારીઓ ત્યાં હાજર હતા જેમણે પ્રાથમિક વાતચીત તમામ સાથે કરી હતી. જ્યારે તેમને બહાર લઈ જવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેમના પાસપોર્ટ અને કોન્ટેક નંબરની ખરાઈ કરવામાં આવી હતી. જે લીસ્ટ અગાઉથી અમૃતસરથી આવ્યું હતું જે પ્રમાણે તમામને બહાર લઈ જવામાં આવ્યા હતા.