જૂનાગઢના સાસણ ગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી ગયા છે. બરડા, વેળાવદર અને કોડીનાર એમ 3 તરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે ત્રિકોણીય કોરિડોર બનાવ્યો છે. પોતાનો વિસ્તાર જાતે જ વધારીને અત્યારે વનરાજો રાજ્યના 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાઈ ગયા છે. જેના પગલે પ્રવાસન ઉદ્યોગના વિકાસની સંભાવના પણ બળવત્તર બની છે. પોરબંદર અને જામનગરની વચ્ચે આવેલા બરડા ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદ ગીર બની શકે તેવી સંભાવના વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે.
બૃહદ ગીરની ભૂગોળ મૂળ ગીર કરતા ઘણી ખરી અલગ પડે છે. કારણ કે, અહીંનો એક મોટો પ્રદેશ ડોલોમાઈટ અને બેસાલ્ટ પ્રકારના પથ્થરો સાથે ચૂનાના પથ્થરોનું મિશ્રણ ધરાવે છે. જોકે, એનાથી સિંહોને ખાસ ફરક પડ્યો નથી. સાસણ છોડીને વર્ષોથી બહાર નીકળી ગયેલા સિંહોના વિવિધ ગ્રુપોએ અન્ય પ્રદેશોમાં વસવાટ શરૂ કરી જ દીધો છે તો કેટલીક જગ્યાએ વન વિભાગે પણ વસાવ્યા છે. જેના માટે રહેઠાણ, પાણી અને ખોરાક સહિતની વ્યવસ્થા તો થઈ રહી છે, સાથોસાથ જમીન સંપાદન અને સંરક્ષણના માપદંડોનું મૂલ્યાંકન પણ જરૂરી બન્યું છે.
પ્રદેશના બંધનો તોડીને સિંહોએ પોતાની અનુકૂળ જગ્યાએ રહેઠાણ બનાવી નાખ્યા છે ત્યારે હવે બૃહદ ગીરના વિસ્તૃતિકરણની સત્તાવાર ઘોષણા જ બાકી રહી છે.આજથી પાંચ સાત વર્ષ પહેલા બોટાદમાં સિંહનું કોઈ જ મેનેજમેન્ટ નહોતું પણ હવે ડિવિઝન ઉભું થઈ ગયું છે અને એ ડિવિઝન સિવાય પણ સિંહો જ્યાં હોય ત્યાં તેને લગતી જંગલ ખાતાની સ્કીમો લાગુ પડે છે. વન્ય પ્રાણીઓના કોરીડોરમાં ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ગારીયાધાર, મહુવા, તળાજા, પાલીતાણા, સિહોર, ઘોઘા, ભાવનગર અને વલભીપુરનો સમાવેશ થાય છે. ખંભાતનો અખાત અને અરબી સમુદ્રના પૂર્વીય વિસ્તારનો દક્ષિણી ભાગ, જેમાં શેત્રુંજી અને કાળુભાર નદીના વિસ્તારનો પણ સમાવેશ થઈ જાય છે.