અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની ત્રીજી બેચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઈ છે. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાનમાં 112 લોકોમાં હરિયાણાના 44,ગુજરાતના 33, પંજાબના 31, યુપીના 2, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 1-1નો સમાવેશ થાય છે. હરિયાણાના લોકો માટે પોલીસ અધિકારીઓ વોલ્વો બસ લઈને પહોંચ્યા છે. તેવી જ રીતે, પંજાબ સરકાર પણ લોકોને બસોમાં તેમના ઘરે પહોંચાડશે.
શનિવારે રાત્રે 11:30 વાગ્યે, 116 ભારતીયોને લઈને અમેરિકન વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું.. સ્ત્રીઓ અને બાળકો સિવાય બધા પુરુષોને હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને વિમાનમાં બેસાડવામાં આવ્યા. તેમને એરપોર્ટ પર જ તેમના પરિવારને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. લગભગ 5 કલાકની ચકાસણી પછી, બધાને પોલીસ વાહનોમાં ઘરે છોડી દેવામાં આવ્યા. આ સમય દરમિયાન કોઈને પણ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નહોતી. અગાઉ, 5 ફેબ્રુઆરીના રોજ, 104 લોકોને બળજબરીથી પાછા મોકલવામાં આવ્યા હતા. આમાં, બાળકો સિવાય પુરુષો અને સ્ત્રીઓને હાથકડી અને બેડીઓથી બાંધીને લાવવામાં આવ્યા હતા. આ રીતે, અત્યાર સુધીમાં 220 ગેરકાયદેસર લોકોને ભારત પાછા મોકલવામાં આવ્યા છે.
શનિવારે પાછા મોકલવામાં આવેલા લોકોમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 1-1નો સમાવેશ થાય છે. તેમાંના મોટાભાગના 18થી 30 વર્ષની વયના છે. અગાઉની બેચ અંગે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સૌથી વધારે 33-33 લોકો હરિયાણા અને ગુજરાતના હતા, તો પછી વિમાન અમદાવાદ કે અંબાલાને બદલે પંજાબમાં કેમ ઉતારવામાં આવ્યું? જોકે, આ બેચમાં સૌથી વધુ પંજાબીઓ પાછા ફર્યા હતા.