ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ થયેલી ભયાનક ભાગદોડની ઘટનામાં ન્યાયિક પંચે સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અકસ્માતમાં ૧૨૧ લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ન્યાયિક તપાસ પંચનો અહેવાલ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ગૃહમાં મૂકવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
રિપોર્ટમાં, નાસભાગ માટે મુખ્યત્વે આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જ્યારે વહીવટીતંત્ર અને પોલીસની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે. અહેવાલ મુજબ, જે સત્સંગમાં આ નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સલામતીના ધોરણોનું પાલન કર્યું ન હતું. જોકે, SITની જેમ, ન્યાયિક પંચે પણ સત્સંગ ચલાવતા કથાકાર ‘ભોલે બાબા’ને આ ઘટનાથી દૂર રાખ્યા છે અને તેમને ક્લીનચીટ આપી છે. તપાસમાં એવું તારણ નીકળ્યું કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા નહોતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટ આ ઘટનાનું કારણ હતું. રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારીઓ ગંભીરતાથી નિભાવી ન હતી. ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ અને મોટી સંખ્યામાં લોકોએ કચડાઈને જીવ ગુમાવ્યા. રિપોર્ટ અનુસાર, જો પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક રહ્યા હોત અને ભીડ નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોત, તો આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત.