સોમવારે ફ્રાન્સના માર્સેલી શહેર સ્થિત રશિયન વાણિજય દુતાવાસમાં વિસ્ફોટ થયો હતો. શહેરમાં રશિયાના કોન્સ્યુલ જનરલે પુષ્ટિ આપી હતી. રશિયાના અહેવાલ મુજબ, આ ઘટના ઇમારતની અંદર બની હતી. માર્સેલીમાં રશિયાના કોન્સ્યુલ જનરલ સ્ટેનિસ્લાવ ઓરાન્સ્કીને ટાંકીને જણાવ્યું છે કે, દક્ષિણ બંદર શહેરમાં રશિયન વાણિજય દુતાવાસ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
આ ઘટના રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પર બની હતી. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના “આતંકવાદી હુમલા” ના લક્ષણો ધરાવે છે અને ફ્રેન્ચ અધિકારીઓ પાસેથી સંપૂર્ણ તપાસની માંગ કરી છે. અજાણ્યા હુમલાખોરોએ દુતાવાસની અંદર બે મોલોટોવ કોકટેલ ફેંક્યા હતા. ઘટનાસ્થળ નજીકથી એક ચોરાયેલી કાર પણ મળી આવી હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. મ્યુનિસિપલ પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. ક્રેમલિને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિદેશ મંત્રાલય ફ્રાન્સનું ધ્યાન સુરક્ષા પગલાંની જરૂરિયાત તરફ દોરવા માટે બધું જ કરી રહ્યું છે.