રાજયમાં વિજતંત્ર દ્વારા લગાવાતા સ્માર્ટ મીટર સામે વિરોધ-ઉહાપોહ વચ્ચે તે ફરજીયાત હોવાની વિધાનસભામાં સરકારની જાહેરાત વચ્ચે સમગ્ર ઝુંબેશ તેજ કરવામાં આવી છે. હાલ લગાવાતા સ્માર્ટ મીટર ‘પોસ્ટ પેઈડ’(વર્તમાન ધોરણે) રાખવામાં આવ્યા બાદ ગમે ત્યારે પ્રિ-પેઈડ મીટરમાં રૂપાંતરિત કરી દેવાની રણનીતિ હોવાના સંકેત છે.રાજયમાં આધુનિક પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરમાં બીલ વધુ આવતુ હોવાના ઉહાપોહ-વિરોધ બાદ તે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. સરકારે જ સ્માર્ટ મીટર ફરજીયાત હોવાની જાહેરાત કરીને ફરી ચક્રો ગતિમાન કરી દીધા હતા. વિજતંત્રનાં સુત્રોએ કહ્યું કે, સરકાર દ્વારા અગાઉથી જ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ શરૂ કરી દેવાની સુચના આપી દેવામાં આવી હતી.
ગ્રાહકોના પ્રિ-પેઈડ મીટર સામેનાં ઉહાપોહને ધ્યાને રાખીને હાલ ફકત સ્માર્ટ મીટર ફીટ કરવાનો અને પછી યોગ્ય સમયે પ્રિ-પેઈડ મોડ કાર્યાન્વીત કરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. વર્તમાન જુના મીટરના સ્થાને ફીટ કરાતા સ્માર્ટ મીટર વધુ સ્પીડમાં ફરતા હોવાના કે વધુ બીલ આવતા હોવાની અટકળોને ફગાવતાં વિજતંત્રનાં સીનીયર અધિકારીએ કહ્યું કે યોગ્ય ટેસ્ટીંગ બાદ જ નવા મીટર થાય છે. ઉર્જા નિગમ-નિયમન પંચના ગેઝેટમાં વિજ સીસ્ટમ અપડેટ કરવાની વિજ વિતરણ કંપનીઓને સતા આપવામાં આવી જ છે. નવા વિજ મીટર આધુનિક છે. પ્રિ-પેઈડ વર્ઝનમાં લોકો ખુદ મોબાઈલમાં જ પોતપોતાના ઘર-ઓફીસનો વપરાશ નિહાળી શકશે. સ્માર્ટ મીટર ફીટ થયા બાદ ગ્રાહકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ થયા બાદ તેને પ્રિ-પેઈડમાં કન્વર્ટ કરવામાં આવે તેમ મનાય છે.