ઉત્તરપ્રદેશના બાંદાની એક મહિલા શહઝાદી ખાનને 15 ફેબ્રુઆરીના રોજ યુએઇમાં ફાંસી આપવામાં આવી . વિદેશ મંત્રાલયે સોમવારે દિલ્હી હાઇકોર્ટને આ માહિતી આપી. શહઝાદી પર 4 મહિનાના બાળકની હત્યા કરવાનો આરોપ હતો. તે 2 વર્ષ દુબઈ જેલમાં હતી. કોર્ટે ચાર મહિના પહેલાં તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
વિદેશ મંત્રાલય વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું હતું કે શહઝાદીના અંતિમસંસ્કાર 5 માર્ચે કરવામાં આવશે. મંત્રાલય અને અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ શહઝાદીના પરિવારને અંતિમસંસ્કાર માટે અબુ ધાબી જવા માટે મદદ કરશે. બે દિવસ પહેલાં શહઝાદીના પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપની માગ કરી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં શહઝાદીના પિતાએ દાવો કર્યો હતો કે 14 ફેબ્રુઆરીએ તેમની પુત્રીએ તેમને ફોન દ્વારા જાણ કરી હતી કે તેને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેને ફાંસી આપવામાં આવશે.