ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 7 માર્ચને શુક્રવારે દિવસ દરમિયાન પ્રદેશ નેતાગીરીથી માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મિટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો સાથેની મિટિંગ સૌથી હોટ ફેવરીટની સાથે મેરેથોન મિટિંગ બની રહી હતી. ગુજરાતના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થવાની સાથોસાથ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
આ મિટિંગમાં તાલુકા-નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખોએ રાહુલ ગાંધી સામે પોતાનો બળાપો કાઢયો હતો. એક સમયે સૌએ પ્રિયંકાજીને મોકલવાની પણ માંગ કરી હતી. ત્યારે રાહુલજીએ હું પ્રિયંકાજીને વાત કરવાની બાહેંધરી આપી હતી. જેના કારણે હવે રાહુલજીના વિદાય બાદ પ્રિયંકાજી આગામી દિવસોમાં ગુજરાતમાં પધારે તેવી શક્યતા છે. એટલું જ નહીં, પરંતુ રાહુલ તેમ જ પ્રિયંકાજીની આવન-જાવન વધી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
આજરોજસમગ્ર રાજ્યના 2 હજાર કોંગ્રેસનાં કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્ય સરકારની નિષ્ફળતાઓ લઈને રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની પણ હાજરી રહેશે. ઉપરાંત, સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ સંવાદમાં હાજરી આપશે. બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.
છ કલાક સુધી 150થી વધુ લોકોને સાંભળ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી શુક્રવારે સવારે 10-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને 11 વાગ્યાની આસપાસ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સવારે 11-30 વાગ્યાની આસપાસ મિટિંગોનો દોર શરૂ થયો હતો. આખાય દિવસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાકથી છ કલાક સુધી 150થી વધુ લોકોને સાંભળ્યા હતા. પ્રથમ સેશનના પ્રારંભમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખો, પોલિટિકલ અફેર્સ કમિટી, જિલ્લા- શહેર કોંગ્રેસના પ્રમુખોને સાંભળ્યા હતા. બીજા સેશનમાં વિવિધ સેલના આગેવાનો બાદ પૂર્વ તથા ચાલુ ધારાસભ્યો અને તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો તેમજ સ્ટાફના માણસોને સાંભળ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખોની મિટિંગમાં રાહુલ ગાંધીએ કયા પ્રમુખના સમયમાં કોંગ્રેસનો બરોબર ચાલતી હતી તે અંગે પ્રશ્નો કર્યા હતા. ત્યારે બધાં મૌન સેવી લીધું હતું. ફરીવાર તેમને પ્રશ્ન દોહરાવતાં કોઇએ એવું કહ્યું કે, બી.કે. ગઢવી તથા સી.ડી. પટેલ પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે યોગ્ય રીતે ચાલતી હતી.