સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સત્રમાં 16 બેઠકો થશે જે 4 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, સરકાર વકફ સુધારા સહિત 36 બિલ લાવી શકે છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રાજ્યનું બજેટ રજૂ કરશે. આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ શાસન પર સંસદની મંજૂરી માટે પ્રસ્તાવ રજૂ કરી શકે છે.
બજેટ સત્રના બીજા તબક્કામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર વિરોધ થવાની શક્યતા છે. ચૂંટણી મતદાર IDમાં અનિયમિતતા, મણિપુરમાં તાજેતરની હિંસા અને યુએસ ટેરિફને લઈને વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યો છે. આ તબક્કામાં, સરકારનું ધ્યાન વિવિધ મંત્રાલયો માટે ગ્રાન્ટની માંગણીઓ મંજૂર કરાવવા, મણિપુરનું બજેટ પસાર કરાવવા, વકફ સુધારા બિલ પસાર કરાવવા વિષયો પર છે સંસદના બજેટ સત્રના બીજા તબક્કા પહેલા વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી મતદાર ઓળખ કાર્ડ સંબંધિત અનિયમિતતાઓ પર સરકારને ઘેરશે. અહીં, TMCના હોબાળા બાદ, ચૂંટણી પંચે ત્રણ મહિનામાં સુધારા કરવાનું વચન આપ્યું હતું. જોકે, ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કેટલાક મતદારોના મતદાર ID માં નંબરો સમાન હોવા છતાં, તેમની અન્ય માહિતી અલગ છે.
વકફ સુધારા બિલ પર પણ સંઘર્ષ નિશ્ચિત છે. સરકારની પ્રાથમિકતા વકફ સુધારા બિલને શક્ય તેટલી વહેલી તકે પસાર કરાવવાની છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. જોકે, કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરવા માટે સંયુક્ત રણનીતિ બનાવી રહ્યા છે.