ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું.
આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે (18 માર્ચ) ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો.
ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. 18 માર્ચે સવારે 8:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ હેચ થયું, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. 10:35 વાગ્યે અવકાશયાન ISS થી અલગ થઈ ગયું.
ડીઓર્બિટ બર્ન 19 માર્ચના રોજ સવારે 2:41 વાગ્યે શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયા હતા. આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. અવકાશયાત્રીઓએ અવકાશ મથક પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા બાદ, તેમનું 8-દિવસનું મિશન 9 મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું.
અમદાવાદી ભાઈએ કહ્યું, આજે સુનિતાનો બીજો જન્મ થયો છે;
સુનિતા વિલિયમ્સ અને તેના સાથીમિત્રો પૃથ્વી પર ભારતીય સમય પ્રમાણે રાત્રે 3 કલાકને 27 મિનિટે પહોંચી ગયા હતા. 17 કલાકની સફર બાદ સુનિતા વિલિયમ્સ અને તેના અન્ય ત્રણ સાથી અવકાશ યાત્રીઓએ પૃથ્વી પર લેન્ડીંગ કર્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં રહેતાં સુનિતા વિલિયમ્સના પિતરાઈભાઈ અને તેમનો પરિવાર નાસા દ્વારા કરવામાં આવેલા લાઈવને નિહાળી રહ્યા હતા. સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, જ્યારે સુનિતાને પરત લાવવા માટેની તૈયારી થઈ હતી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં હું ખૂબ જ ચિંતિત હતો. આ સમયે હું ભગવાનના દર્શન કરવા અને પ્રાર્થના કરવા માટે મંદિરમાં પણ ગયો હતો અને ઘરે પણ અખંડ દીવો પ્રગટાવ્યો હતો. પરિવારજનો પણ ચિંતામાં જ હતા. કેમ કે અગાઉ કલ્પના ચાવલાનો દુખદ પ્રસંગ બની ગયો હતો એટલે વારંવાર કલ્પના ચાવલાનું દૃશ્ય સુનિતા વિલિયમ્સ માટે પણ યાદ આવતું હતું.