મહિલાઓનાં વક્ષ (બ્રેસ્ટ)ને સ્પર્શ કરવો કે પાયજામાની નાડી છોડવી તે દુષ્કર્મ ન હોવાના અલ્હાબાદ હાઈકોર્ટનાં ચુકાદાનો પડઘો આજે રાજયસભામાં પડયો હતો.રાજયસભાનાં સાંસદ રેખા શર્માએ વાંધો ઉઠાવ્યો હતો અને રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલે સુપ્રિમ કોર્ટમાં જવુ જોઈએ તેવી માંગ કરી હતી.રાષ્ટ્રીય મહિલા પંચના પૂર્વ અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે ન્યાયાધીશ જ સંવેદનશીલ ન હોય તો મહિલા અને બાળકો શું કરશે? તેઓએ આવા કૃત્ય પાછળનાં ઈરાદાને ધ્યાને લેવો જોઈએ. પોતે ચુકાદાની વિરૂદ્ધમાં છે.
અલ્હાબાદ હાઈકોર્ટનાં ન્યાયમુર્તિ રામ મનોહર મિશ્રાનાં આ ચુકાદા વિશે સોશ્યલ મિડિયામાં પણ અનેકવિધ ટીપ્પણીઓ થઈ રહી છે. હાઈકોર્ટે ચુકાદામાં ઉકત કૃત્યને દુષ્કર્મ ન ગણીને ગંભીર જાતિય શોષણની વ્યાખ્યામાં ગણાવ્યું છે અને પોકસો કોર્ટનાં આદેશમાં સુધારો કર્યો હતો. આ કેસમાં ત્રણ આરોપી સામે આઈપીસી કાયદાની કલમ 376 અને પોકસો કાયદાની કલમ 18 હેઠળ સમન્સ પાઠવ્યા હતા. હાઈકોર્ટે કલમ 354 9બી) તથા પોકસો કાયદાની કલમ 9-10 હેઠળ કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો.આ કલમો હળવી છે.આ કેસમાં એવો આરોપ હતો કે 11 વર્ષિય પીડીતાનાં વક્ષ પકડીને પાયજામાની નાડી તોડી નાખવામાં આવી હતી. પુલની નીચે ખેંચી જવાનો પ્રયત્ન થયો હતો પરંતુ લોકોના ધ્યાને આવી જતા આરોપીઓ સગીરાને મુકીને નાસી ગયા હતા.