23 માર્ચની રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી. બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાઈ થઈ હતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નેશનલ હાઇ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતાં.
વિશાળકાય ક્રેન પડતાં અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.