જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સુરક્ષા જવાનોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા છે. હાલ પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આ સાથે આતંકવાદીઓને પકડી પાડવા માટે તપાસ અભિયાન પણ શરૂ કરી દીધું છે.
ઉધમપુર પોલીસે કહ્યું કે, જિલ્લાના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોફર ગામમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળના જવાનો ત્યાં પહોંચતા આતંકીઓએ આડેધડ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. જોકે સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ ત્યાંથી ભાગી જઈ જંગલમાં છુપાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.ઉધનપુરના એસએસપી આમોદ અશોક નાગપુરેએ કહ્યું કે, ‘ઊંચા પર્વતો, નદીઓ અને ગાઢ જંગલોને કારણે આ ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. અમને માહિતી મળી છે કે, જંગલની અંદર બેથી ત્રણ આતંકવાદીઓ ભાગીને છુપાઈ ગયા છે. હાલ અમે જંગલમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. ગોળીબારમાં કોઈપણ જાનહાની થઈ નથી. અમારા તમામ જવાનો સુરક્ષિત છે. આ વિસ્તાર પડકારજનક છે, જોકે તેમ છતાં અમે આતંકવાદીઓને પકડી પાડવામાં સફળ થઈશું.