સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે. વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હતો. જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખુબ શોખ છે અને તેને મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે તેમાં જોડાઈ જાય છે. આ દરમિયાન ધમકી ભર્યો મેસેજ મોકલી દીધો હતો. જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી.
માનસિક અસ્થિર અને સારવાર લેતા વ્યક્તિને 2-3 દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઇ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (2) (3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ શરૂ કરી હતી અને તેનો રેલો વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચ્યો હતો. પરિણામે મુંબઈ પોલીસ ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચી હતી પૂછપરછ દરમ્યાન ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની માનસિક હાલત યોગ્ય નહીં હોવાનું બહાર આવ્યું છે. પરિણામે પરિવારજનોને યુવકને ત્રણ દિવસમાં મુંબઈ પોલીસ સમક્ષ દાક્તરી પ્રમાણ પત્ર સાથે હાજર રહેવા જણાવ્યું છે.






