નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પહેલી ચાર્જશીટમાં સોનિયા-રાહુલના નામ સામેલ કરવાના વિરોધમાં કોંગ્રેસ આજે સોમવારથી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 21 થી 27 એપ્રિલ દરમિયાન 57 શહેરોમાં 57 પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ ઝુંબેશને ‘કોંગ્રેસનું સત્ય, ભાજપનું જૂઠાણું’ નામ આપવામાં આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે આ સમય દરમિયાન ભાજપના જુઠ્ઠાણા સામે લાવવામાં આવશે.
રવિવારે ‘X’ પર માહિતી આપતાં, કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ લખ્યું – વિજયવાડાથી વારાણસી, કાશ્મીરથી તિરુવનંતપુરમ સુધી, કોંગ્રેસના નેતાઓ ભાજપના જુઠ્ઠાણા અને સ્વતંત્રતા સંગ્રામના જીવંત સ્મારક ‘નેશનલ હેરાલ્ડ’ને નષ્ટ કરવાના રાષ્ટ્રવિરોધી પ્રયાસોનો પર્દાફાશ કરવા માટે ભારતભરમાં ફેલાઈ રહ્યા છે. પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજનારા 57 નેતાઓની યાદી પણ શેર કરી. તેમાં મણિકમ ટાગોર, ગૌરવ ગોગોઈ, પી ચિદમ્બરમ, સુપ્રિયા શ્રીનેત, અશોક ગેહલોત, શશિ થરૂર, પવન ખેરા, ભૂપેશ બઘેલ, કન્હૈયા કુમાર, રણદીપ સિંહ સુરજેવાલા, રાજીવ શુક્લા, અલકા લાંબા જેવા ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે.
19 એપ્રિલે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને ફ્રન્ટલ સંગઠનોના વડાઓની બેઠકમાં, દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ખડગેએ કહ્યું કે ષડયંત્ર અને બદલાના ભાગ રૂપે નેશનલ હેરાલ્ડ કેસની ચાર્જશીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ ઉમેરવામાં આવ્યા છે. તેઓ ગમે તે નામનો ઉપયોગ કરે, અમે ડરવાના નથી. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના અમદાવાદ અધિવેશન દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જાણી જોઈને દિલ્હી, લખનઉ અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડની મિલકતો જપ્ત કરી હતી. આ પહેલા પણ મોદી સરકારે ED અને CBI દ્વારા કોંગ્રેસના નેતાઓ પર દરોડા પાડીને રાયપુર સત્રને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.