મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક થશે તેવી ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે મરાઠીના હિતના ફરી એક થવાની આડકતરી ઓફર આપી છે. જેના જવાબમાં ઉદ્ધવસેનાએ શરત રાખી છે કે, જો રાજ ઠાકરે એકનાથ શિંદે અને ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખે તો વાતચીત થઈ શકે. મહારાષ્ટ્રમાં હાલમાં નવી શિક્ષણનીતિ હેઠળ શિક્ષણમાં મરાઠીની સાથે હિન્દી પણ ફરજિયાત કરાતા રાજ ઠાકરે તેનો વિરોધ કરી રહ્યા છે. એવામાં શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી ગુજરાતીઓ મુદે બળાપો કાઢ્યો છે.
સંજય રાઉતે કહ્યું છે કે, હિન્દીનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરેના માણસો ગુજરાત વિરુદ્ધ અવાજ કેમ નથી ઉઠાવતા? સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો ‘ગુજરાતી લોબી’ અને ગુજરાતી ભાષાથી છે. જેમણે સંપૂર્ણ પશ્ચિમ મુંબઈનું ગુજરાતીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના વિરુદ્ધ કેમ કોઈ કશું બોલ્યું નથી. મરાઠી ભાષા પર ગુજરાતી ભાષા તથા ગુજરાતી સંસ્કૃતિનું આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આપણે તેના વિરુદ્ધ લડવું જોઈએ.’
તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાષાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે મરાઠી ભાષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે જ્યારે તેમના કાર્યકર્તાઓ પર ભાષાના નામે હિંસાનો આરોપ છે. ત્યાં મુંબઈની એક સોસાયટીમાં ખાણીપીણી મામલે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વિવાદ થયો છે. ઘાટકોપરની સંભવ દર્શન સોસાયટીમાં રહેતા મરાઠી પરિવારનો આરોપ છે કે નોનવેજ ખાવાના કારણે ગુજરાતી પડોશીએ તેમને ‘ગંદા’ (ડર્ટી) શબ્દ વાપર્યો હતો. બે પડોશીઓ વચ્ચે વિવાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ કૂદી પડ્યા અને ગુજરાતી પરિવારને ધમકી આપી હતી કે, ‘જો તમને મરાઠી ગંદા લાગે છે કે આવી ગંદી જગ્યાએ આવો જ છો શું લેવા? ફરી આવું કર્યું તો સોસાયટીની બહાર નહીં નીકળી શકો.