મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના યુબીટીના પ્રમુખ’ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ગઠબંધન કરવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ થતાં શિવસેનાને વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા છે. શિવસેનાના પ્રવક્તા અને પાર્ટીના સાંસદ નરેશ મહસ્કેએ કહ્યું કે, ‘ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન છે. ઉદ્ધવએ અવિભાજિત શિવસેનામાં રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે, ‘ઉદ્ધવ ઠાકરે પાર્ટીના ઘટતાં જનાધારથી પરેશાન છે, તેથી જ તેઓ રાજ ઠાકરેને પોતાની સાથે લાવવા માંગે છે. શિવસેના યુબીટીમાં ભીડને આકર્ષીત કરી શકે તેવો કોઈપણ નેતા બચ્યો નથી. આવી અનુભૂતી થયા બાદ ઉદ્ધવ રાજને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં શિવસેના યુબીટીનું અસ્તિત્વ જોખમમાં મૂકાયેલું છે.’
ઉદ્ધવ ઠાકરેને આધુનિક દુર્યોધન ગણાવી મહસ્કેએ કહ્યું કે, ‘તેમણે પોતાના ભાઈ રાજ ઠાકરેને પાર્ટીમાં ક્યારે આગળ આવવા દીધા નથી. બાલા સાહેબ ઠાકરે રાજ ઠાકરેને પાર્ટીમાં મુખ્ય જવાબદારી આપવા ઇચ્છતા હતા. જોકે તેનો ઉદ્ધવએ જોરશોરથી વિરોધ કર્યો હતો. રાજ ઠાકરે ક્યારે શિવસેના યુબીટીની વાતમાં નહીં આવે. તેમને અવિભાજિત શિવસેનામાંથી કાઢી મૂકાયા હતા. હવે શિવસેના યુબીટીનું જહાજ ડૂબી રહ્યું છે, જેના કારણે ઉદ્ધવ રાજને પર લાવવા ઇચ્છે છે, જોકે રાજ ઠાકરે બેવકૂફ રાજકીય નેતા નથી.’