ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌથી ચર્ચાસ્પદ મુદ્દો અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તોડવામાં આવી રહેલા બાંધકામો લઈને છે. 29 અને 30 એપ્રિલના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા 4,000 જેટલા નાના-મોટા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓને તોડી આશરે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા છે. શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે તેના પર ડેવલોપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલોપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ સાત ફેઝમાં તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાણીલીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપરના ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. STP પ્લાન્ટ ઊભો કરવામાં આવશે જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ તળાવમાં છોડવામાં આવશે જેના કારણે તળાવ બારેમાસ ભરેલું રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ રૂ. 27.53 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ કરાયા પછી સમગ્ર વિસ્તારની રોનક બદલાઈ જશે અને આગવી ઓળખ ઉભી થશે. તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલોપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે. ચંડોળા તળાવમાંથી કોપ કાઢીને જળસંગ્રહ વધારાશે અને રાઈપેરીઅન સહિત ઝાડ પાન સહિત વૃક્ષારોપણ કરીને પાણીનું શુધ્ધીકરણ કરવામાં આવશે.
પ્રથમ ફેઝ અંતર્ગત હાલમાં તળાવ ડીપનીંગ, ડેવલોપમેન્ટ એરીયામાં ફીલીંગ, તળાવની ફરતે વોક વે ના ફીલીંગની તથા ખંભાતી કુવાની કામગીરી ચાલી રહી છે. ચંડોળા તળાવની કાયાપલટ કરવામાં આવ્યા પછી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને દાણીલીમડા, શાહ આલમ, ઈસનપુર. વટવા, ઘોડાસરના રહીશોએ દરરોજ સાંજે ખાસ કરીને શનિ-રવિવારના રોજ હરવા ફરવા માટે કાંકરિયા જવું પડશે નહીં