અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં અમરેલીના દંપતી અને તેમના ત્રણ વર્ષના પુત્ર સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો દાઝી ગયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
દિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટેલમાં સવારે 8 વાગ્યે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ હોટલના પાંચમા માળે પહોંચી ગઈ. હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયા હતા. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. અમરેલીના ધંધાર્થી અલ્ફેઝ નુરાની પોતાની પત્ની શબનમ અને 3 વર્ષના પુત્ર સાથે અમદાવાદથી ટ્રાવેલ્સમાં ગયા હતા. મામાના ઘરે બે દિવસ રોકાયા પછી બુધવારે સવારે અજમેર જવા રવાના થયા હતા.
જેએલએન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલ સમરિયાએ જણાવ્યું હતું કે આઠ દાઝી ગયેલા લોકોને ત્યાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી ચાર મૃત્યુ પામ્યા. 4ની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલા લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ ચારમાંથી એક વ્યક્તિ 100 ટકા દાઝી ગઈ છે. બાકીના ત્રણ 50 અને 60 ટકા દાઝ્યા છે.