સુપ્રીમ કોર્ટ આજે વક્ફ સુધારા કાયદા પર સુનાવણી કરશે. અગાઉ 17 એપ્રિલે કોર્ટે કેન્દ્રને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. તેમજ આગામી સુનાવણી સુધી વક્ફ બોર્ડમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રનો જવાબ આવે ત્યાં સુધી વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકત પર યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું.
કેન્દ્રએ 25 એપ્રિલના રોજ રજુ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. તે સંસદ દ્વારા પસાર થઈ ગયો છે, તેથી તેને રોકવો જોઈએ નહીં.1332 પાનાના સોગંદનામામાં, સરકારે દાવો કર્યો હતો કે 2013થી વકફ મિલકતોમાં 20 લાખ એકરથી વધુનો વધારો થયો છે. આ કારણે, ખાનગી અને સરકારી જમીનો પર ઘણા વિવાદો થયા. તેમજ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ સરકારી આંકડાઓને ખોટા ગણાવ્યા અને ખોટા સોગંદનામા આપનાર અધિકારી સામે કોર્ટ પાસેથી કાર્યવાહીની માંગ કરી.
નવા વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 70થી વધુ અરજીઓ કરવામાં આવી છે, પરંતુ કોર્ટ ફક્ત પાંચ મુખ્ય અરજીઓ પર જ સુનાવણી કરશે. આમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એપ્રિલમાં નવો કાયદો અમલમાં આવ્યો. તેને લોકસભામાં 288 સાંસદો અને રાજ્યસભામાં 128 સાંસદોએ સમર્થન કર્યુ હતું. ઘણા વિપક્ષી પક્ષોએ આનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટ ગયા.
CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જ્યારે કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક મનુ સિંઘવી અને સીયુ સિંહ કાયદા વિરુદ્ધ દલીલ કરી રહ્યા છે.17 એપ્રિલના રોજ થયેલી સુનાવણીમાં, એસજી મહેતાએ કહ્યું હતું કે સંસદ દ્વારા ‘યોગ્ય વિચાર-વિમર્શ સાથે’ પસાર કરાયેલા કાયદાને સરકારનો પક્ષ સાંભળ્યા વિના રોકવો જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે લાખો સૂચનો પછી નવો કાયદો બનાવવામાં આવ્યો છે. એવા ઘણા ઉદાહરણો છે જેમાં ગામડાઓ વક્ફે કબજે કર્યા હતા. ઘણી ખાનગી મિલકતો વકફમાં લેવામાં આવી. આના પર બેન્ચે કહ્યું કે અમે અંતિમ નિર્ણય લઈ રહ્યા નથી.