‘બ્લિડ ઈન્ડિયા વિથ થાઉઝન્ડ્સ કટ્સ’ આ કટ્ટર માનસિકતા સાથે પાક. આર્મી અને ત્યાંની ગુપ્તચર સંસ્થા ભારત વિરોધી આતંકી સંગઠોને મદદ કરી રહ્યાં છે. ભારતમાં નાર્કોટેરરિઝમનો કોન્સ્ટેપ્ટ પણ આતંકવાદીઓએ શરૂ કર્યો હતો. આ ઘટસ્ફોટ સાથે એનઆઇએ દ્વારા દેશમાં નાર્કો ટેરરિઝમના એક મુખ્ય સૂત્રધાર અંકૂશ કપૂરની ધરપકડ કરી છે.
2018માં સલાયામાં ગુજરાત એટીએસ એ 4.95 કિલો હેરોઈન પકડી પાડ્યું હતુ. આ કેસની તપાસમાં ઘટસ્ફોટ થયો કે, 500 કિલો હેરોઈન દરિયાઈ માર્ગે ગુજરાતમાં લેન્ડ કરાયું હતું અને ઉત્તર ભારત મોકલાયું હતુ. આ કેસની તપાસ એનઆઇએએ સંભાળતા અનેક નવા ઘટસ્ફોટ થયા કુલ 26 આરોપીઓની ધરપકડ કરી. તપાસ દરમ્યાન અંકૂશ કપૂર ઉપરાંત ઈટાલીમાં છુપાયેલા સિમરતજીતસિંહ સંધુ અને ઓસ્ટ્રેલિયામાં સંતાયેલા તન્વીર બેદીના નામ પણ ખુલ્યા હતા. એનઆઇએને જાણવા મળ્યું કે, આ ડ્રગ્સને ભારતમાં ઘુસાડવા બાદ એને અલગ-અલગ જગ્યાએ પહોંચાડવા અને એમાંથી મળેલા રૂપિયાનું ફન્ડિંગ કરવાનો આરોપ અંકૂશ કપૂર પર છે. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટેની બેઠક દુબઈમાં થઈ હતી અને પાક.ના ભાઈજાન નામના શખ્સે ડ્રગ્સ સપ્લાય કર્યુ હતું. આ ભાઈજાન લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલો છે. એનઆઇએના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, અમે તનવીર બેદી અને સિમરતજીતસિંહ સંધુને પકડી લાવવા જે-તે દેશની સરકારો સાથે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલે છે જે પૂર્ણ થવામાં છે. આ મામલે હજી નવા ઘણા રહસ્યો ખુલવાની સંભાવના છે.
અંકુશ કપૂર અગાઉના એક ડ્રગ્સ કેસમાં જેલમાં હતો, તેમાંથી છુટ્યા બાદ તેણે સુપ્રીમકોર્ટ સુધી રક્ષણની માંગણી કરી હતી. જો કે, કોર્ટે ટાંક્યુ હતું કે, દેશના યુવાધનનું સ્વાસ્થ્ય અને દેશની ઈકોનોમી બંનેને નુકશાન કરવાનો આ કેસ છે. કોર્ટે તેને રક્ષણ નહીં આપતા તે ડિસેમ્બર 2024થી ફરાર હતો. જેને સતત ચાર મહિના સુધી ટ્રેસ કરીને અંતે દિલ્હીથી પકડી પાડી ગુજરાત લઈ આવવામાં આવ્યો છે.