શનિવારે સવારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો. રાજૌરી, પૂંછ અને જમ્મુમાં પણ ભારે ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા.
રાજૌરીમાં આજે સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે તોપમારા અને બોમ્બમારા દરમિયાન એક સરકારી અધિકારીનું મોત થયું છે. માર્યા ગયેલા અધિકારીનું નામ રાજ કુમાર થાપા હતું, જે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવા (JKAS) માં અધિક જિલ્લા વિકાસ કમિશનર તરીકે તૈનાત હતા. પાકિસ્તાનની સરહદે આવેલા શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે. ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરશે. શુક્રવારે સાંજે 7.47 થી 10.57 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 26 શહેરોમાં 550 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા. આ હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાનનો દાવો છે કે તેણે આદમપુર, ઉધમપુર, પઠાણકોટ, સુરતગઢ અને સિરસા એરફિલ્ડ પર પણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત, રાજૌરીમાં લશ્કરી તાલીમ કેન્દ્ર અને પંજાબના બિયાસમાં બ્રહ્મોસ સ્ટોરેજ સુવિધાને પણ નિશાન બનાવવામાં આવી હતી. જોકે, ભારતે તેની પુષ્ટિ કરી નથી.ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો. અહીંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા. સમાચાર એજન્સીએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
પાકિસ્તાને ભારતીય ઠેકાણા પર ફતેહ મિસાઇલ છોડી, એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી
ભારતે પાકિસ્તાનની હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ ફતેહ-2ને હરિયાણાના સિરસામાં ઇન્ટરસેપ્ટ કરીને હવામાં જ ધ્વસ્ત કરી નાખી હતી.પાકિસ્તાને ભારત પર હવે લાંબા અંતરની મિસાઇલોથી હુમલો કરવાનું શરૂ કર્યું છે. ભારત પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.