કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે 18 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલાં તેમણે સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાદરા અને ગોજારીયા ખાતે કે.કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેઓ સાણંદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ત્યાર બાદ સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તમેણે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઠેર-ઠેર ઓવરબ્રિજ અને ફ્લાયઓવરના કામ ચાલી રહ્યા છે. જેને લઈને અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું આજે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
નારણપુરામાં પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે AMC પ્લોટમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે ફરી એકવાર હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડના વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર માનું છું. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું. 1.5 લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે.થોડા દિવસમાં વરસાદ આવવાનો છે. ગ્રીન ગાંધીનગર મિશન હેઠળ વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવ્યું છે. બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું. એક પેડ મા કે નામ વાવી તેને મોટું કરવાનું કામ તમામ યુવાઓએ કરવાનું છે. વડીલોએ ફ્લેટ-સોસાયટીમાં 15થી 20 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ. જેથી અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી સુધી નીચે આવી જાય. અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતા ઓછી થઈ જશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું. પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાતમો કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું ત્યારે તેમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું સિંધુ નદી અને લોહી બંને એક સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરેરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરેરિઝમને આશરો આપવો છે તો બધા ટ્રેડ અને વ્યાપાર સમાપ્ત કરી દો. અમે તો વાતચીત કરવા તૈયાર છીએ પણ વાતચીત થશે તો PoK પાછું લેવા માટે અને ટેરેરિઝમનો ખાત્મો કરવા થશે.
ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે
નરેન્દ્ર મોદીએ 2047 દરેક ક્ષેત્રમાં નંબર 1 હોય તેનું બીડું ઝડપ્યું છે. આપણી બ્રહ્મોસ મિસાઈલ વિશે આજના યુવાનો સર્ચ કરે છે. પાકિસ્તાનના હવાઈ અડ્ડા પર આપણી બ્રહ્મોસ મિસાઇલ ત્રાટકી છે. આતંકવાદી મસૂદ અઝર સહિતના આતંકવાદીઓના અડ્ડાઓનો ખાતમો કર્યો છે. જ્યાં સુધી દેશમાં પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાની છે. ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે. હું ગાંધીનગર લોકસભા વતી વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું.