આજે ઓડિશાના પુરીના જગન્નાત ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રૂપકડે રથડે સવાર થઈ મામા ઘરે જવા નીકળ્યા છે. આ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રા જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની હોય છે, આ 12 દિવસના ભવ્યથી અતિભવ્ય ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને જોડાય છે. આ યાત્રા ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
27 જૂનથી શરૂ થતી આ રથયાત્રા 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે સમાપ્ત થશે, જ્યારે ભગવાન પોતાના નિજ મંદિરમાં પાછા ફરશે. રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલાં શરૂ થઈ જાય છે. ગઈકાલે હજારો ભક્તોએ મંદિરના સિંહદ્વાર ખાતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના નવયૌવન દર્શન કર્યા. આ દર્શન સવારે 8થી 10:30 વાગ્યા સુધી ખુલ્લાં હતા.
યાત્રાનું શેડ્યૂલ
27 જૂનથી રથયાત્રા શરૂ થશે, જેમાં પુરીના રાજા ‘છેરા પહનરા’ રિવાજ પ્રમાણે રથોની સફાઈ કરશે. 1 જુલાઈએ હેરા પંચમી, 4 જુલાઈએ સંધ્યા દર્શન, 5 જુલાઈએ બાહુડા યાત્રા, 6 જુલાઈએ સુના બેશા, 7 જુલાઈએ અધરા પના અને 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે યાત્રા પૂર્ણ થશે, જ્યારે દેવતાઓ નિજ મંદિરમાં પાછા ફરશે.