કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ઇઝરાયલે ગાઝામાં ભોજનની રાહ જોઈ રહેલા લોકો
પર ગોળીબાર કર્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયલી ગોળીબારમાં ઉત્તર
ગાઝામાં યુએન સહાય ટ્રકોની રાહ જોઈ રહેલા લગભગ 67 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. દરમિયાન
ઇઝરાયલે વિસ્થાપિત લોકોથી ભરેલા વિસ્તારોને ખાલી કરાવવા માટે નવા આદેશો જાહેર કર્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં આ ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. તાજેતરમાં
સહાય શોધનારાઓમાં આ સૌથી વધુ મૃત્યુ છે, જેમાં શનિવારે 36 લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે
જણાવ્યું હતું કે દક્ષિણમાં અન્ય સહાય સ્થળ નજીક 6 વધુ લોકો માર્યા ગયા હતા.ઇઝરાયલી સેનાએ કહ્યું
હતું કે તેના સૈનિકોએ રવિવારે ઉત્તર ગાઝામાં હજારો લોકોની ભીડ પર ચેતવણી ગોળીબાર કર્યો હતો
જેથી ‘તાત્કાલિક ખતરો’ દૂર થાય. સેનાએ વધુમાં કહ્યું હતું કે જાનહાનિની સંખ્યા અતિશયોક્તિપૂર્ણ છે
અને અમે ઇરાદાપૂર્વક માનવતાવાદી સહાય ટ્રકોને નિશાન બનાવી રહ્યા નથી.
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ જણાવ્યું હતું કે ગાઝામાં પ્રવેશ્યા પછી તરત જ 25
WFP ટ્રકોના કાફલાનો સામનો ભૂખ્યા નાગરિકોના વિશાળ ટોળા સાથે થયો હતો જેમના પર ગોળીબાર
કરવામાં આવ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે વધતા
મૃત્યુ અને ભૂખમરાના સંકટથી ગુસ્સે છીએ અને આ કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો પર
ખરાબ અસર કરી શકે છે.