ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા (SIR)નો ડર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. આ ડરને કારણે, પશ્ચિમ બંગાળમાંથી લગભગ 500 બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે, “શું તમારું નામ 2003ની મતદાર યાદીમાં હતું? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?”આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી. પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા છે.પકડાયેલા લોકોમાંથી ઘણાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં ઘરેલુ નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હતા. આ મહિનાની શરૂઆતમાં પણ, BSFએ આવા જ 100 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા જેઓ SIRના ડરથી પાછા ફરી રહ્યા હતા.




