યમનમાં સત્તા અને પ્રભાવ માટે ચાલી રહેલી ખેંચતાણ એકવાર ફરી હિંસક વળાંક પર પહોંચી ગઈ છે. શુક્રવારે, સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને UAE-સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC)ના ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ, આ હુમલાઓમાં ઓછામાં ઓછા 20 અલગતાવાદી લડવૈયાઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સંયુક્ત અરબ અમીરાતએ યમનમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, જેણે બંને દેશો વચ્ચેના તણાવને ખુલ્લો પાડી દીધો છે.
આ હવાઈ હુમલા અલ ખાશા અને સેયૂનમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં સેયૂન શહેરના એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના પછી ત્યાં હવાઈ પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. આ પહેલીવાર છે જ્યારે સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને સીધા STCના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.યમનનું ભવિષ્ય ફરી એકવાર ગંભીર સંકટમાં ફસાયેલું દેખાઈ રહ્યું છે, કારણ કે દેશના દક્ષિણ ભાગમાં થયેલી આ ઘટનાએ સાઉદી અરબ અને UAEને પહેલીવાર સામસામે લાવી દીધા છે. UAE-સમર્થિત STCએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે ‘યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે’. STCએ આરોપ લગાવ્યો કે સાઉદી સમર્થિત જમીની દળોએ તેમના પર હુમલો કર્યો, જેને સાઉદી વાયુસેનાના હવાઈ હુમલાઓનું પણ સમર્થન મળ્યું.
હુમલાના થોડા સમય પહેલા જ, સાઉદી સમર્થક દળોએ હદરમૌતમાં સૈન્ય ઠેકાણાઓ પર નિયંત્રણ મેળવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું, જેને શાંતિપૂર્ણ ગણાવાયું હતું. પરંતુ ગણતરીની મિનિટોમાં જ હવાઈ હુમલાઓએ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી. આ હુમલાઓ બાદ UAEએ તણાવ ઓછો કરવાની વાત કરી અને દાવો કર્યો કે તેની છેલ્લી સૈન્ય ટુકડી યમન છોડી ચૂકી છે. STCના વિદેશી મામલાના પ્રતિનિધિ અમ્ર અલ બિધે સાઉદી અરબ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે શાંતિપૂર્ણ અભિયાનની વાત કર્યાની મિનિટોમાં જ સાત હવાઈ હુમલા કરવામાં આવ્યા.






