ભારતીય ઉપખંડમાં શિયાળાની વિદાય વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘હોરાસિયો’ 260 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.
વાવાઝોડાની અસર અને સમુદ્રમાં ઓછા દબાણને કારણે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલમમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં પણ વરસાદની અપેક્ષા છે.દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છે, ત્યારે ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫ ડિગ્રી વધી ગયું છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. હાલમાં અહીં વરસાદની કોઈ સંભાવના નથી.
પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ધુમ્મસ જોવા મળશે, પરંતુ દિવસ દરમિયાન તેજ તડકો રહેશે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન ૫ ડિગ્રી સુધી વધી શકે છે.
પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં હવામાન પલટાશે. હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે. CPCB ના ડેટા મુજબ, ગુરુવારે સાંજે AQI 200 નોંધાયો હતો.


