ઈઝરાયલી સૈન્ય દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારી મુજબ, ઓપરેશન શરૂ થયા બાદ
અત્યાર સુધીમાં ઈરાનના અલગ-અલગ વિસ્તારોમાં ૫૦૦૦થી વધુ મ્યુનિશન અને બોમ્બ ફેંકવામાં
આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ રાજધાની તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક સૈન્ય
ઠેકાણાઓ છે. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓનો હેતુ ઈરાનના સૈન્ય માળખા અને મિસાઈલ
લોન્ચિંગ સાઈટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે, જેથી ઈઝરાયલ પર થતા હુમલાઓને રોકી શકાય.
બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો દાગી છે. આ
મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
જોકે, ઈઝરાયલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની કોશિશ કરી
હતી. સુરક્ષાના ભાગરૂપે લોકોને અમુક સમય માટે શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ
જવાબી કાર્યવાહીને કારણે યુદ્ધ હવે લાંબો સમય ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ ભીષણ યુદ્ધમાં સૌથી મોટું નુકસાન સામાન્ય જનતાને ભોગવવું પડી રહ્યું છે. અહેવાલો મુજબ, 28
ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં 1145થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઈરાનના મીડિયા પ્રમાણે,
130થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો આ હુમલાથી પ્રભાવિત થયા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના
દક્ષિણ શહેર મીનાબમાં બની હતી, જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં 160થી વધુ વિદ્યાર્થીનીઓ
અને સ્ટાફે જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલો અને સરકારી ઈમારતો પણ આ યુદ્ધની ઝપેટમાં આવી ગઈ છે.


