એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ વીતી જવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય
અને સાચા કારણોની શોધમાં ભટકી રહ્યા છે. ગત વર્ષે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ
ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તુરંત જ દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાન મામલે હવે
બ્રિટિશ તપાસ એજન્સીએ પણ પોતાની મર્યાદાઓ સ્પષ્ટ કરી દીધી છે. બ્રિટિશ નાગરિકોના પરિવારોએ
યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ પાસે ટેકનિકલ રિવ્યુની માગ કરી હતી, પરંતુ એજન્સીએ પત્ર
લખીને જણાવ્યું છે કે આ મામલે તેમની પાસે કોઈ ટેકનિકલ તપાસ કરવાની સત્તા નથી.
બ્રિટિશ એજન્સીના પ્રિન્સિપાલ ઈન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે પરિવારોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે,
આ તપાસનું નેતૃત્વ ભારતની તપાસ એજન્સી કરી રહી છે અને યુકે તેમાં માત્ર એક એક્સપર્ટ તરીકે
સામેલ છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, યુકેના નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાથી તેમને ઘટનાસ્થળની
મુલાકાત લેવાનો અને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ફેક્ટ્સ મેળવવાનો જ અધિકાર છે. તપાસના
ટેકનિકલ પાસાઓ પર બ્રિટનનો કોઈ સીધો હસ્તક્ષેપ નથી. એજન્સીએ એ પણ નોંધ્યું છે કે, પ્રારંભિક
અહેવાલો અંતિમ હોતા નથી અને તેમાં ફેરફાર શક્ય છે, તેથી પરિવારોએ ઉતાવળે કોઈ તારણ પર ન
પહોંચવું જોઈએ.
અમદાવાદમાં વસતા પીડિત પરિવારોનો આક્રોશ વધી રહ્યો છે. પરિવારોએ PM નરેન્દ્ર મોદી,
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ન્યાયની અપીલ
કરી છે. તેમની મુખ્ય માગ વિમાનના બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની છે. પીડિત પરિવારોનું કહેવું છે
કે, દુર્ઘટનાને આટલો સમય વીત્યા પછી પણ સત્ય સામે આવ્યું નથી. સામાજિક કાર્યકર્તા કુલદીપ
ઈશરાણી, જેઓ લગભગ 200 પીડિત પરિવારોના સંપર્કમાં છે, તેમણે જણાવ્યું હતું કે, પરિવારો હવે
આરપારની લડાઈના મૂડમાં છે કારણ કે તપાસની ગતિ ખૂબ જ ધીમી છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ લંડન ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર
અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં
53 બ્રિટિશ નાગરિકો સહિત કુલ 260 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકોના કરુણ મોત નિપજ્યા
હતા. દુર્ઘટનાના એક મહિના બાદ આવેલા પ્રારંભિક રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે, ટેક-ઓફ બાદ
તરત જ એન્જિનમાં ઈંધણનો સપ્લાય અટકી જવાથી વિમાનનો થ્રસ્ટ ઘટી ગયો હતો. હાલમાં
અમેરિકાની NTSB અને બોઈંગ કંપની પણ આ તપાસમાં સહયોગ આપી રહી છે, પરંતુ ફાઈનલ
રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.


